Learning Resources
Digital Learning - A place to donate your knowledge
  • Home
  • DC Circuits
  • Electric Traction & Control
  • Machine Design
  • Power Electronics
    • Advanced Power Electronics
  • Utilization of Electrical Energy
  • About Us
November 11 2020

દિન વિશેષ : ૧૧ નવેમ્બર (રાષ્ટ્રીય શિક્ષણ દિવસ)

Maulik Thakar Din Vishesh

આજે હું લઈને આવ્યો છું સ્વતંત્ર ભારતનાં પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ વિશે સંપૂર્ણ માહિતી 👇

દરેક સમાજ ઉત્કર્ષ માટે આતુર હોય છે બસ તેને સાચું કહેનારા અને અરીસો દેખાડનારા મર્દની જરૂર હોય છે તેમજ નેતૃત્વ કરનારા આગેવાનની જરૂર હોય છે..દિગ્દર્શક તો ઘણા મળી જાય છે, પણ ભોમિયા ભાગ્યે જ મળે છે..

તેઓ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા..ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે મનાવાય છે તો અબુલ કલામ આઝાદનો જન્મદિન શિક્ષણ દિન તરીકે ઉજવાય છે..તેમનો જન્મ ઇસ્લામ ધર્મના પવિત્ર શહેર મક્કામાં થયો હતો..જો કે, તેઓ બે વર્ષના હતા ત્યારે તેમના પિતા ત્યાંથી કલકત્તા આવીને વસ્યા..

તેમનો પરિવાર વિદ્વદ્જનોનો મેળાવડો હતો..તેઓ રાજાશાહીને પસંદ કરતા નહોતા એટલે જ તેમના પરિવારની ક્યારેય રાજાઓ સાથે બનતી નહીં..તેમના પૂર્વજોમાંના એક હતા મૌલાના જમાલુદ્દીન ઉર્ફ દિલ્હીના શેખ બહલોલ તેઓ અકબરના સમકાલીન હતા..

અકબરે જ્યારે દિન-એ-ઇલાહીનો પ્રચાર કરવાના પ્રયત્નો આદર્યા ત્યારે મૌલાના જલાલુદ્દીને તેના મુસદ્દા પર હસ્તાક્ષર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો..જમાલુદ્દીનના દીકરા શેખ મોહમ્મદે જહાંગીર સામે ઝૂકવાનો નનૈયો ભણી દીધો હતો..આ ગુસ્તાખી બદલ તેમને ગ્વાલિયરના કિલ્લામાં કેદ કરવામાં આવેલા..મૌલાના આઝાદ આ જ પરંપરાના મશાલચી હતા અને અંગ્રેજો સાથે એ પ્રમાણેનો જ વ્યવહાર દાખવતા હતા..

ગઝલ લેખનનો બાળપણથી શોખ હતો..આઝાદ તખલ્લુસ હતું..શાયરોની સૂચિમાં પહેલું નામ આવે એટલે અ-થી શરૂ થતું તખલ્લુસ રાખેલું..૧૩ વર્ષની ઉંમરે ઝુલેખા બેગમ સાથે નિકાહ થયા..હસીન નામનો એક દીકરો અવતર્યો..તે માત્ર ચાર વર્ષની ઉંમરે જન્નતનશીન થયો..

૧૯૪૨માં તેમને મુંબઈ ખાતે કોંગ્રેસનાં હંગામેદાર અધિવેશનની અધ્યક્ષતા કરવાની હતી એ સમયે તેમના પત્ની ખૂબ બીમાર હતાં, પણ આઝાદે ઘરને બદલે દેશને પ્રાયોરિટી આપી..તેની પરવા કર્યા વિના તેઓ નીકળી ગયા..આઝાદ મેદાનમાં તેમની ધરપકડ થઈ..અહમદનગરના કિલ્લામાં કેદ કરવામાં આવ્યા..

નહેરુ પણ ત્યાં જ હતા..દરમિયાન ખબર આવ્યાં કે તેમના પત્નીનો દેહાંત થયો છે..નહેરુ, ગાંધી, અબુલ કલામ આઝાદ સહિત કેટ-કેટલા મહાપુરુષોએ દેશને આઝાદ કરવવા માટે પોતાના અંગત જીવનનું બલિદાન આપ્યું છે..સામાન્ય માનવીને આના વિશે કોઈ અંદાજ નથી..

મહાદેવભાઈ દેસાઈએ મૌલાના અબુલ કલામ આઝાદ પર ૧૯૪૦માં એક પુસ્તક લખ્યું..તે એક સંસ્મરણાત્મક જીવનચરિત્ર હતું..મહાદેવભાઈએ ગાંધીજીને પ્રસ્તાવના લખી આપવા અનુરોધ કર્યો.. ૧૮મી મે ૧૯૪૦ના રોજ સેવાગ્રામમાં ગાંધી બાપુએ મૌલાના વિશે લખ્યું, મને રાષ્ટ્રીય કામકાજ સંદર્ભે ૧૯૨૦થી મૌલાના અબુલ કલામ આઝાદના સંપર્કમાં રહેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે..

ઈસ્લામનું જ્ઞાાન તેમને જેટલું છે એટલું કોઈને નહીં હોય..તેમની શ્રદ્ધા ઈસ્લામમાં જેટલી છે એટલી જ રાષ્ટ્રવાદિતામાં પણ છે..આજે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સર્વોચ્ચ પદ પર બિરાજે છે..તેનો અર્થ એ થયો કે કોઈપણ અભ્યાસુએ તેમની ઉપેક્ષા કરવી જોઈએ નહીં..

જવાહરલાલ નહેરુએ મૌલાના અબુલ કલામ આઝાદનું આનાથી પણ વધારે પ્રગાઢ અને આનાથી પણ વધારે ઉંડાણસભર વિશ્લેષણ કર્યું છે..ડિસ્કવરી ઑફ ઇંડિયામાં તેમણે લખ્યું છે, હિંદુસ્તાનનાં મુસલમાનોના મગજના વિકાસ માટે ૧૯૧૨ એક ખૂબજ મહત્ત્વનું વર્ષ છે..ત્યારે બે સાપ્તાહિક શરૂ થયા..એક અલ હીલાલ, જે ઉર્દૂમાં હતું અને બીજું ધ કોમરેડ, જે હિંદીમાં હતું..અલ હિલાલ કોંગ્રેસનાં વર્તમાન સભાપતિ અબુલ કલામ આઝાદે ચલાવ્યું હતું..

ત્યારે તેઓ કેવળ ૨૪ વર્ષના નવજવાન હતા..તેમનો અભ્યાસ કૈરોની અલ-અઝહર યુનિવર્સિટીમાં થયો હતો..તેઓ માત્ર ૧૫-૨૦ વર્ષની ઉંમરમાં અરબી અને ફારસીના જ્ઞાાન માટે મશહૂર થઈ ગયા હતા..તેમને હિંદુસ્તાન બહારની ઈસ્લામિક દુનિયા વિશે સારી માહિતી હતી..ત્યાં ચાલતા સુધારાત્મક આંદોલનોથી તેઓ સુપેરે પરિચિત હતા..તેમને યુરોપને લગતી બાબતોની પણ સારી સમજ હતી..

નહેરુએ લખ્યું છે, મૌલાના આઝાદનો અભિગમ બુદ્ધિવાદી હતો અને તેમને ઇસ્લામી સાહિત્ય તથા ઈતિહાસનું પણ સંપૂર્ણ જ્ઞાાન હતું..તેમણે ઇસ્લામિક ધર્મગ્રંથોની બૌદ્ધિક દૃષ્ટિકોણથી વ્યાખ્યા કરેલી. તેઓ ઈસ્લામિક પરંપરાથી છલોછલ હતા..મિસર, તુર્કી, સીરિયા, પેલેસ્ટાઇન, ઈરાક અને ઈરાનના ઈસ્લામિક નેતાઓ સાથે તેમના વ્યક્તિગત સંબંધો હતા..આ દેશોની સામાજિક અને રાજકીય સ્થિતિની તેમના પર દૃઢ અસર હતી..

પોતાના આર્ટીકલ્સને કારણે ઈસ્લામિક દેશોમાં બીજા કોઈપણ હિંદુસ્તાની મુસલમાન કરતા તેઓ વધારે પ્રસિદ્ધ હતા..તુર્કી જે લડાઈમાં ફસાયેલું હતું તેમાં તેમને ભારે રસ પડેલો..તુર્કી માટે તેમના મનમાં હમદર્દી પ્રગટ થઈ, પરંતુ તેમના દૃષ્ટિકોણમાં અને અન્ય બુઝુર્ગ મુસ્લિમ નેતાઓના દૃષ્ટિકોણમાં તફાવત હતો..

તેમનો દૃષ્ટિકોણ વિસ્તૃત અને તર્કસંગત હતો..વહેવારમાં પણ ક્યાંય સામંતવાદ, સંકુુચિત ધાર્મિકતા કે સામ્પ્રદાયિક અલગતાના દર્શન થતા નહોતા..તેમના આ ગુણોએ જ તેમને હિંદુસ્તાની રાષ્ટ્રીયતાના તરફદાર બનાવી દીધા..

તુર્કી અને બીજા ઈસ્લામિક દેશોમાં તેમણે રાષ્ટ્રીયતાની પ્રગતિ જાતે જોઈ હતી..આ જાણકારીનો તેમણે ભારતમાં ઉપયોગ કર્યો અને ભારતના રાષ્ટ્રીય આંદોલનોને પણ એ જ પરિપ્રેક્ષમાં નિહાળવા લાગ્યા..

હિંદુસ્તાનમાં રહેતા બીજા મુસલમાનોને બહારના દેશોમાં થતા આંદોલનોની ભાગ્યે જ જાણકારી હતી..તેઓ સામંતી વાતાવરણથી ઘેરાયેલા હતા.. તેઓ તુર્કીને ધર્મના ચશ્માંથી જોતા હતા..તેમનો નાતો તુર્કીની માત્ર ધાર્મિક બાબતો સાથે હતો..

મૌલાના આઝાદ અવ્વલ દરજ્જાના પત્રકાર અને સંપાદક તરીકે પણ ખ્યાત છે..નહેરુએ તેમના પત્રકારત્વ વિશે પણ સવિસ્તાર લખ્યું છે..તેઓ લખે છે, અબુલ કલામ આઝાદે તેમના સાપ્તાહિક મેગેઝિન અલ હિલાલમાં નવી જ ભાષામાં વાત કરી.. આ ભાષા માત્ર વિચાર કે અભિગમની દૃષ્ટિએ નવી નથી બલ્કે તેની રચના પણ તદ્દન જુદા પ્રકારની છે..

તેની શૈલીમાં રહેલા જોર અને તેમની મર્દાનગીને કારણે આવું બન્યું છે..ફારસી પૃષ્ઠભૂમિને કારણે ઘણી વખત તો સમજવામાં મુશ્કેલી થતી હતી..નવી વાત કહેવા માટે તેમણે નવી શબ્દાવલીનો ઉપયોગ કર્યો..ઉર્દૂ ભાષા આજે જેવી છે તેને તેવી બનાવવામાં નિશ્ચિતપણે એક ભૂમિકા ભજવી..મુસલમાનોના જૂના કટ્ટરપંથી નેતાઓની વિચારણસરણીમાં આઝાદની વાત બંધ બેસતી નહોતી એટલે તેમણે તેમના વિચારો અને અભિગમની જોરદાર ટીકા કરી.. આમાંના કાબેલથી કાબેલ લોકો ધર્મગ્રંથ, પરંપરા કે બીજી કોઈપણ દલીલમાં તેમની સામે ટકી શકતા નહોતા કારણ કે એ બધી બાબતોમાં આઝાદને તેમના કરતા ઘણું વધારે જ્ઞાાન હતું..તેમનામાં મધ્યયુગનો ઇલ્મ, ૧૮ મી સદીનો તર્કવાદ અને સાંપ્રત દૃષ્ટિકોણનો સંગમ હતો..

તેમના વિચારોએ બુદ્ધિજીવી મુસ્લિમોમાં ભારે હલચલ મચાવી દીધી હતી..૧૯૧૪માં અંગ્રેજ સરકારે તેમનો પ્રેસ જપ્ત કરી લેતા અલ હિલાલનું સંપાદન બંધ થયું..આથી તેમણે નવું સાપ્તાહિક અલ-બલાગ શરૂ કર્યું..બ્રિટિશ સરકારે તેમને ૧૯૧૬માં કેદ કરતા એ સિલસિલો પણ બંધ થયો..તેઓ ચાર વર્ષ જેલમાં કેદ રહ્યા..

જેવા બહાર આવ્યા કે ઇંડિયન નેશનલ કોંગ્રેસમાં સ્થાન બનાવ્યું..કોંગ્રેસની કાર્યકારિણીનું મહત્ત્વનું અંગ બની ગયા..નાની ઉંમરે તેમની ગણના ટોચના નેતાઓમાં થવા લાગી..રાષ્ટ્રીય અને રાજકીયની સાથોસાથ તેમની પાસેથી સામ્પ્રદાયિક અને લઘુમતીને સ્પર્શતી બાબતોની પણ સલાહ લેવામાં આવતી..તેમની સલાહ ખૂબજ મૂલ્યવાન ગણાતી..તેમણે જીવનનો લાંબો વખત જેલમાં પસાર કર્યો..

તેઓ અવાર-નવાર એજ્યુકેશન સિસ્ટમ વિશે વાત કરતા ને માત્ર વાતો જ ન કરી શિક્ષણ મંત્રી બન્યા પછી શિક્ષણ વ્યવસ્થાને દુરસ્ત કરવામાં અગ્રેસર રહ્યા..

આજે દેશમાં જે કોલેજો અને વિશ્વ વિદ્યાલયો છે તેમાંથી ઘણી ખરી તેમની દેણગી છે..મદરેસા સિસ્ટમનો આકરો વિરોધ કરેલો તેઓ કહેતા, કે આ વ્યવસ્થા સમયથી ઘણી પાછળ ચાલી રહી છે..વિભાજન પછી હિંદુ-મુસ્લિમ એકતા માટે ઘણી લડતો લડી જ્યારે દેશ રમખાણમાં સળગી રહ્યો હતો ત્યારે તેઓ હરીફરીને શાંતિની ભિખ માગી રહ્યા હતા..

તુર્કીમાં ધ્વસ્ત કરાયેલી ખલિફતના વિરોધમાં તેમણે ખિલાફત આંદોલન છેડેલું..માત્ર ૩૫ વર્ષની વયે કોંગ્રેસ અધ્યક્ષ બન્યા..દેશના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે જવાબદારી ઉપાડી..૧૮૮૮માં જન્મ અને ૧૯૫૮ માં મૃત્યુ..૭૦ વર્ષનું જીવન જીવ્યા..૧૯૯૨માં ભલે મરણોપરાંત ભારત રત્ન મળ્યો, પરંતુ તેમણે મરતા પહેલા દેશને આપવામાં કશું જ બાકી રાખ્યું નહોતું..

૧૯૪૭ માં દિલ્હીની જામા મસ્જિદમાં તેમણે ઐતિહાસિક ભાષણ આપ્યું હતું..ભાગલાના ઘાવ તાજા હતા ત્યારે તેમણે મુસ્લિમ ભાઈઓને કહેલું, વિશ્વાસ કરો, આ આપણો દેશ છે..આપણે આમના માટે જ છીએ અને આમની તકદીરના પાયાના નિર્ણયો આપણા અવાજ વિના અધૂરા રહેશે..

તેમણે કુરાનનું ક્વોટ ટાંકેલું,
હૃદયને દુષિત ન કરતા, દુઃખ ન લગાડતા..
જો તમે મોમિન (ઇમાનદાર) છો તો તમે ગાલિબ (વિજેતા) બનશો..

જય હિંદ 🇮🇳

માહિતીનો સ્રોત :- ઈન્ટરનેટ..

મૌલિક ઠાકર ✍️
(𝓜𝓪𝓾𝓵𝓲𝓴 𝓣𝓱𝓪𝓴𝓪𝓻)

દિન વિશેષ :- ૦૯ નવેમ્બર (રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ..) દિન વિશેષ :- ૧૨ નવેમ્બર (મહાન પક્ષીવિદ ડૉ. સલીમ અલીનો જન્મદિવસ..)
Learning Resources
  • Privacy Policy
  • Contact Us
© Learning Resources 2025
Designed by Vishal Dineshbhai Devdhar